તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને રીબેલેન્સ કેવી રીતે કરવો?
2 મિનિટ 33 સેકન્ડનું વાંચન

વર્ષો સુધી રોકાણ કર્યા પછી તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને ક્યારે અને કેવી રીતે રીબેલેન્સ કરવો એ તમારી આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રીબેલેન્સ કરવાથી એ વાતની ખાતરી કરી શકાય છે કે, તમારું રોકાણ તમારા લક્ષ્યો અને તમારી જોખમ લેવાની ક્ષમતાની સાથે સુસંગત જળવાઈ રહે, અણધાર્યા માર્કેટમાં પણ.
રીબેલેન્સિંગ એટલે તમારી ઇચ્છા મુજબની એસેટ્સની ફાળવણીને જાળવી રાખવા માટે એસેટ્સને ખરીદવું અને વેચવું. તે જોખમને ઘટાડવામાં અને સમયાંતરે તમારા પોર્ટફોલિયોને તમારી રોકાણની વ્યૂહરચનાની સાથે સુસંગત રાખવામાં મદદરૂપ થાય છે.
તમારા રોકાણને રીબેલેન્સિંગ કરવું એ જોખમનું નિયમન કરવાનો એક સ્માર્ટ રસ્તો છે, ખાસ કરીને માર્કેટ જ્યારે અણધારી રીતે વર્તી રહ્યું હોય. તે તમારા પોર્ટફોલિયોને નિયંત્રણમાં અને તમે કેટલું જોખમ લઈ શકો છો, તેની સાથે સુસંગત રાખે છે. નિયમિતપણે રીબેલેન્સિંગ કરવાથી તમે એ વાતની ખાતરી કરો છો કે, તમારું રોકાણ તમારા નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાની યોગ્ય દિશામાં રહે અને સમયની સાથે તમે દિશા ભટકી જાઓ નહીં. જો તમારી રોકાણની વ્યૂહરચના અથવા તો તમારી જોખમ લેવાની ક્ષમતામાં ફેરફાર થાય તો, રીબેલેન્સિંગ તમને તમારી આ નવી યોજનાને અનુરૂપ તમારા પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની સુવિધા પૂરી પાડે છે.
તમારા રોકાણને રીબેલેન્સ કરવાના સ્ટેપ્સઃ
> તમારી એસેટની ફાળવણીને નિર્ધારિત કરો
તમે તમારા નાણાંને ઇક્વિટી અને ડેટ જેવા રોકાણના વિવિધ પ્રકારોમાં કેવી રીતે વહેંચવા માંગો છો, તે નક્કી કરવાની સાથે શરૂઆત કરો. તમારા નાણાકીય લક્ષ્યો, તમે કેટલું જોખમ સંભાળી શકો છો અને તમે તમારા નાણાંને કેટલો સમય સુધી રોકેલા રાખવા માંગો છો, તે અંગે વિચારો.
> તમારી વર્તમાન ફાળવણીની સમીક્ષા કરો
ત્યારબાદ, તમારી એસેટની વર્તમાન ફાળવણીની સમીક્ષા કરો અને તેને તમારા ટાર્ગેટની સાથે સરખાવો. જો કોઈ વિચલન હોય તો, તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવાનો સમય થઈ ગયો છે.
> શું ખરીદવું છે અને શું વેચવું છે, તે નક્કી કરો
મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરતી વખતે તમારી એસેટની વર્તમાન ફાળવણીને તમારી ટાર્ગેટ ફાળવણીની સાથે સરખાવો. જો તે અલગ પડતી હોય તો, ખૂબ વધારે હોય તેવા એસેટ ક્લાસિસમાં રહેલા ફંડ્સને વેચી કાઢો અને ખૂબ ઓછાં હોય તેવા ફંડ્સને ખરીદો. ઉદાહરણ તરીકે, જો તમારું લક્ષ્ય ઇક્વિટી અને ડેટ 50:50 રાખવાનું હોય તો, તમે આ બેલેન્સને હાંસલ કરવા માટે થોડાં ઇક્વિટી ફંડ્સ વેચી શકો છો અથવા તો થોડાં ડેટ ફંડ્સ ખરીદી શકો છો. જો માર્કેટ નીચું ઉતરે અને તમારી ડેટની ફાળવણી વધે છે, તો રીબેલેન્સ કરવા માટે ઇક્વિટી વધારે ખરીદો અને થોડાં ડેટ વેચો.
> ટોલરન્સ બેન્ડ્સ સેટ કરો
તમારા પોર્ટફોલિયોમાં રહેલા રોકાણના પ્રત્યેક પ્રકારો માટે ટોલરન્સ બેન્ડ્સ સેટ કરો. ઉદાહરણ તરીકે, જો તમારું ટાર્ગેટ ઇક્વિટીમાં 50% હોય અથવા તો 4%નું ટોલરન્સ ધરાવતા ડેટ ફંડ્સ હોય તો, જો ઇક્વિટી કે ડેટ ફંડ્સ 54%થી વધારે થઈ જાય કે 46%થી નીચે જતાં રહે તો તમારે રીબેલેન્સ કરવું જોઇએ.
> વ્યૂહાત્મક રીતે રીબેલેન્સિંગ કરવાનો અભિગમ અપનાવો
બધું જ એક જ વારમાં એડજેસ્ટ કરવાને બદલે સમયાંતરે ક્રમશઃ રીતે ફેરફાર કરવાનો પ્રયત્ન કરો. તે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારના પ્રભાવમાંથી પાર ઉતરવામાં મદદરૂપ થશે. જ્યારે કોઈ એસેટ ક્લાસની કિંમતો નોંધપાત્ર રીતે ઘટી જાય ત્યારે તેને ખરીદીને માર્કેટમાં આવતાં બદલાવોનો લાભ ઉઠાવો.
> તમારી કરવેરા સંબંધિત જવાબદારીઓને જાણો
મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરતી વખતે તમારી કરવેરા સંબંધિત જવાબદારીઓની જાણકારી રાખવાથી તે અણધાર્યા આવી પડતાં કરવેરાથી બચાવે છે અને કરબચત કરી આપે તેવી વ્યૂહરચના મારફતે તમારા એકંદર વળતરને વધારે છે. તે એ બાબતની ખાતરી કરે છે કે, તમારા રોકાણમાંથી થતો લાભ શક્ય એટલો વધુ તમારી પાસે રહે.
> પોર્ટફોલિયો પર નિયમિતપણે નજર રાખવી
તમારા પોર્ટફોલિયોને તમારા રોકાણના લક્ષ્યો અને જોખમ સહન કરવાની તમારી ક્ષમતાની સાથે સુસંગત રાખવા માટે તેના પર નિયમિતપણે નજર રાખો. તેને વાર્ષિક કે દર છ મહિને રીબેલેન્સ કરો.
તમારા રોકાણના મિશ્રણને નિયમિતપણે એડજેસ્ટ કરવું એ તમારા પોર્ટફોલિયોને મેનેજ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા જોખમને નિયંત્રણમાં રાખે છે અને વળતરને વધારી શકે છે. જોકે, રીબેલેન્સ કરતી વખતે તમારી કરવેરા સંબંધિત જવાબદારીઓને ધ્યાનમાં રાખો.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.